કોઈ પણ દેશ કે તેની પ્રજામાં શિક્ષણ, સાહિત્ય, સંગીત, કલા પ્રત્યે અનુરાગ હોવાનો જ. કંઈક આવા જ અનુરાગથી તથા ચોક્કસ હેતુથી પ્રેરાઈને રાજકોટના કેટલાક બુદ્ધિજીવીઓએ 'ગુણ ગ્રાહક મંડળી 'નામે એક નાનકડા પુસ્તકાલયની શરૂઆત તા. 21/04/1856માં કરી હતી. આ પુસ્તકાલયનો પ્રારંભ અંગ્રેજી નિશાળના એક નાનકડા ઓરડામાં થયો હતો. ઇ. સ. 1864માં કોઠી કમ્પાઉન્ડમાં પોતાના મકાનમાં આ પુસ્તકાલય ફેરવવામાં આવ્યું હતું અને ઇ. સ. 1893થી આ પુસ્તકાલય જ્યુબિલી બાગમાં બેસે છે.
ઇ. સ. 1846 થી 1858 સુધી પોલીટીકલ એજન્ટ પદે રહી ચૂકેલા અને લોકપ્રિય થયેલા કર્નલ ડબ્લ્યુ લેંગનું નામ આ પુસ્તકાલય સાથે ઇ. સ. 1864માં જોડાયું ત્યારથી તે લેંગ લાયબ્રેરી તરીકે ઓળખાય છે.
ગુજરાતની પ્રથમ લાયબ્રેરી 1848માં સ્થપાઈ તે હતી વર્નાક્યુલર લાયબ્રેરી. તે પછી લેંગ લાયબ્રેરીની સ્થાપના થઈ હતી એવો વિદ્વાનોનો મત છે. દુર્ગારામ મંછારામ મહેતા, મણિશંકર જટાશંકર કીકાણી, નવલરામ, કરસનદાસ મુળજી, ડાહ્યાભાઈ દેરાસરી, બ. ક. ઠાકોર, નાનાલાલ વગેરે સાક્ષરો તથા પૂ. ગાંધીજીના પિતાશ્રી કરમચંદ ગાંધી જેવા કેટલાક નામાંકિત દીવાનો પણ આ લાયબ્રેરીના સંચાલનમાં સંકળાયેલ રહ્યાની નોંધ લાયબ્રેરીની મિનિટબુકમાંથી પ્રાપ્ય છે.